(૧)
ઝાડની ડાળ-ડાળ
જાણે ખિસકોલીના
અવનવા રસ્તા!
(૨)
ખિસકોલીના
પટ્ટાવાળા પારદર્શક
શરીરમાં અટવાયા
શ્રીરામ!
(૩)
ખિસકોલીથી
સમય
કંટાળતો નહિ હોય!
તે બોલવાનું
બંધ જ
નથી કરતી!
(૪)
શ્રદ્ધા-અંધશ્રદ્ધામાં
અટવાયેલો
ખિસકોલી જેવો
આપણો જીવ,
નક્કી નથી કરી શકતો
કે
મરેલી ખિસકોલી પાછળ
શેનું દાન કરવું?
સોનાનું કે ચાંદીનું?
કે પછી
આવી કવિતાનું……?
– ‘સાગર’ રામોલિયા